Bambuseae | વાંસ


વાંસ

→ એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું વનીય વૃક્ષ.

→ તેનાં વૈજ્ઞાનિક નામ જાતિના નામને આધારે જુદાં જુદાં છે

→ Bambusa arundinacea willd

→ B. bambos Druce – આ બંને વાંસની સામાન્ય જાતિઓ છે; અને

→ Dendrocalamus strictus Nees (2n=38)ને નર વાંસ, કીટી કે રાક્ષસી વાંસ કહે છે. Dracaena draw L.ને વિલાયતી વાંસ કે ડ્રેગૉન ટ્રી કહે છે. તે લિલિયેસી કુળની જાતિ છે. જ્યારે ડ્રેગૉન ટ્રી એટલે કે વિલાયતી વાંસનું વૈજ્ઞાનિક નામ ડ્રેસીના ડ્ર્યૂ (એલ) [Dracaena drew (L)] છે.

→ વિલાયતી વાંસ લિલિયેસી કુળની વનસ્પતિ છે અને રંગસૂત્રોની સંખ્યા 38 છે.

→ વાંસ 40 મી.થી 100 મી. ઊંચું સંધિમય પ્રકાંડ ધરાવે છે. તેના પર કાંટા હોય છે.

→ વાંસ પર કાંટા જોવા મળે છે.

→ તેની બે ગાંઠો વચ્ચે 35 સેમી.થી 45 સેમી.નું અંતર હોય છે.

→ વર્ષ 2017માં ભારતીય વન અધિનિયમ, 1927માં સંશોધન કરીને વાંસને વૃક્ષની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવેલ છે. તેનો સમાવેશ હવે ઘાસ તરીકે કરવામાં આવેલ છે.

→ વાંસની ખેતી ઉપોષ્ણ-કટિબંધીય (subtropical) પ્રદેશથી લઈને ઉષ્ણકટિબંધીય (tropical) પ્રદેશમાં, ખૂબ શુષ્ક હવામાનથી ભેજવાળાં જંગલોમાં, તળેટીથી લઈને 1,000 મી.ની ઊંચાઈએ થાય છે. તે આશરે 18° સે.થી 29° સે. તાપમાને અને 4.3 pHથી 7.3 pH ધરાવતી મધ્યમથી ફળદ્રૂપ જમીનમાં કે જ્યાં પાણીની પૂરતી સગવડ હોય ત્યાં સારી રીતે થાય છે. વાંસની ખેતી ભારત, ચીન અને પાકિસ્તાનમાં ખૂબ જ સારી થાય છે.

→ વાંસની વાવણી વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કરી શકાય છે. ઠંડા પ્રદેશોમાં શિયાળાની શરૂઆતમાં વાવણી કરવા માટે જરૂરી ઊંચાઈની વૃદ્ધિ પામેલ છોડ મુખ્ય ખેતરમાં રોપી દેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વાંસની વાવણી ચોમાસાના થોડા સમય પહેલાં કરવામાં આવે છે.

→ વાંસનું વાવેતર બીજ, કટકાથી દાબ (layering) ફૂટ કે કલમથી કરવામાં આવે છે. વાંસનાં બીજ 0.6 સેમી. ઊંડાઈએ 2.5 સેમી.ના અંતરે બે હાર વચ્ચે 7.5 સેમી.થી 10.00 સેમી.નું અંતર રહે તેમ ધરુવાડિયા(nursery)માં વાવવામાં આવે છે.

→ વાંસની મુખ્ય ખેતરમાં ફેરરોપણી 6 મી.થી 8 મી.ના અંતરે જમીનની ફળદ્રૂપતા પ્રમાણે કરવામાં આવે છે. ફેરરોપણી કરતી વખતે મૂળનો પીળો ભાગ જમીનમાં અને લીલો ભાગ બહાર રહે તેમ છોડ રોપવામાં આવે છે.

→ વાંસના ખેતરમાં 15 સેમી.થી 20 સેમી.ની ઊંડાઈ સુધી અને છોડના 2.0 મી. વ્યાસમાં પિયત આપવામાં આવે છે.

→ 7 વર્ષ બાદ વાંસની પૂરતી વૃદ્ધિ થઈ જાય છે.



રોગ અને જીવાત

→ વાંસના પાકમાં અયોગ્ય વ્યવસ્થાપન, ખોટી કાપણી અને મોડી કાપણીને કારણે રોગ અને જીવાત ઉદભવે છે.

→ સામાન્ય રીતે વાંસનો પાક રોગજીવાત સામે સારી પ્રતિકારકતા ધરાવે છે.

→ નવી ફૂટો અને વૃદ્ધિ પામતા છોડમાં કોહવારો (rot) ફ્યુઝેરિયમ મૉનિલિફોરમ અને ઇક્વિયેટી દ્વારા, બ્લાઝર રોગ સારોક્લાડિયમ ઓરાઇઝા અને લીટલ લીફ રોગ માઇક્રોપ્લાઝ્મા નામના જીવાણુથી થાય છે.

→ વાંસ પર પાન કોરી ખાનાર અને ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળે છે.

→ વાંસનું અંદાજે ઉત્પાદન 10 મેટ્રિક ટન / હેક્ટર પ્રતિવર્ષ મળે છે.

→ વાંસની વૃદ્ધિ શરૂઆતમાં 30 સેમી. પ્રતિદિનથી ધીમી શરૂઆત થઈને 75 સેમી. પ્રતિદિન જેટલી જોવા મળે છે. ટ્રિનિદાદમાં બામ્બુસા વલ્ગારિસ જાતમાં 10 મેટ્રિક ટન ચોખ્ખા શુષ્ક સેલ્યુલોઝનું ઉત્પાદન પ્રતિહેક્ટર પ્રતિવર્ષ ત્રણ વર્ષના અંતરે કાપણી કરતાં મળે છે.


ઉપયોગ

→ વાંસની કુમળી ફૂટો (2.54 સેમી. વ્યાસ અને 37.5 સેમી. લાંબી) ભારત અને ચીનમાં ખોરાક તરીકે વપરાય છે. આ ફૂટ સ્વાદમાં તૂરી હોવા છતાં બે વખત પાણીમાં બાફીને તેમાં મીઠું અને માખણ ભેળવતાં એક સ્વાદિષ્ટ શાકભાજી પૂરી પાડે છે.

→ વાંસની ફૂટો અથાણા તરીકે અને કઢી બનાવવામાં પણ વપરાય છે.

→ વાંસનું લાકડું ઘરવખરીનાં ફર્નિચરમાં, ખોખાના પૅકિંગમાં, સ્ત્રીઓનાં ઘરેણાંમાં તેમજ બાંધકામની કામગીરીમાં વપરાય છે. વાંસનો વણાટ-ઉદ્યોગ દોરડાં બનાવવા અને વાસણ બનાવવા માટે થાય છે.

→ પાનનો ઘાસચારા તરીકે અને થડનો ઉપયોગ કાગળ-ઉદ્યોગમાં થાય છે.

→ તેનાં મૂળમાંથી મેળવેલ તેલનો ઉપયોગ ખાસ કરીને પેટ, યકૃત, બરોળ અને જઠરની ગાંઠ માટે થાય છે.

→ વાંસમાંથી ઝરતો સિલિસિયસ સ્રાવ શ્વાસરોગ, શરદી અને ડાયાબીટિસના દરદમાં ઉપયોગી છે.

→ આયુર્વેદ અનુસાર નક્કર વાંસ ખાટો, તૂરો, કડવો, શીતલ, સારક, સ્વાદુ, બસ્તિશોધક, છેદન અને ભેદક છે. તેનો કફ, પિત્ત, રક્તદોષ, કોઢ, સોજો, વ્રણ, મૂત્રકૃચ્છ્ર, પ્રમેહ, અર્શ અને દાહમાં ઉપયોગ કરવામાં આવે છે.

→ પોલા વાંસ દીપન, રુચિકારક, પાચક અને હૃદ્ય છે અને અર્જીણ, શૂળ તથા ગુલ્મનો નાશ કરે છે.

→ કુમળા વાંસ અને કંદ તીખા, કડવા, ખાટા, તૂરા, લઘુ, શીતલ અને રુચિકર હોય છે અને પિત્ત, રક્તદોષ, દાહ, મૂત્રકૃચ્છ્ર તથા ત્રિદોષનો નાશ કરે છે.

→ વાંસનાં બીજ તૂરાં, મધુર, રૂક્ષ, પૌદૃષ્ટિક, વીર્યકર તથા બલકર હોય છે. તેઓ કફ, પિત્ત અને પ્રમેહનો નાશ કરે છે. વંશલોચન રૂક્ષ, તૂરું, મધુર, શીત, રક્તશુદ્ધિકર, શુભાવહ, ગ્રાહક, ધાતુવર્ધક, વૃષ્ય તથા બલકર છે. તેનો કાસ, શ્વાસ, ક્ષય, રક્તપિત્ત, અરુચિ, કોઢ, જ્વર, કમળો, પાંડુરોગ, દાહ, તૃષા, વ્રણ અને મૂત્રકૃચ્છ્રમાં ઉપયોગ થાય છે. તે વાયુ અને પિત્તનો નાશ કરે છે.

→ વાંસની જડ દૂધમાં વાટીને પાવાથી કૂતરાનું ઝેર ઊતરી જાય છે. આંખના દુખાવામાં વાંસના મૂળની રસક્રિયા મધમાં ઘસીને આંખમાં આંજવામાં આવે છે. વાંસનાં પાન આર્તવ રોગ મટાડે છે.

→ વાંસનો ઉપયોગ મૂત્રાઘાતમાં, શરીરમાં પારો રહે તો તેમાં, રક્તજન્યદાહ અને બહુમૂત્રરોગ પર, બાળકની ઉધરસમાં તેમજ દમમાં કરવામાં આવે છે.



Post a Comment

0 Comments