→ રચના : રાજ્ય જાહેર સેવા આયોગની રચનાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ-315માં કરવામાં આવી છે.
→ નિમણૂક : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે.
→ સભ્ય સંખ્યા : રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની સંખ્યા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી, તેથી તેની સંખ્યા નક્કી કરવાનું કામ રાજ્યપાલને સોપાયું છે.
→ લાયકાત : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા સદસ્યોની લાયકાત વિશે બંધારણમાં ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી. પરતું, એક બાબત આવશ્યક છે કે, આયોગના લગભગ અડધા સદસ્યો પાસે ભારત સરકાર અથવા રાજ્ય સરકારને આધીન ઓછાંમાં ઓછાં 10 વર્ષ સુધી કાર્ય કરવાનો અનુભવ હોવો જોઈએ.
→ કાર્યકાળ : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો અથવા 62 વર્ષની ઉંમર સુધીનો રહેશે.
→ સેવા-શરતો : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા સદસ્યોની સેવા-શરતો રાજ્યપાલ દ્વારા નિર્ધારિત હોવા છતાં, તેમની નિમણૂક બાદ સેવાની શરતોમાં ગેરલાભ થાય તેવા ફેરફારો કરી શકાતા નથી.
→ પગાર-ભથ્થાં : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા સદસ્યોનાં પગાર, ભથ્થાં અને પેંશન સહિતનો સંપૂર્ણ ખર્ચ રાજ્યની સંચિતનિધિ પર ભારિત હોય છે. આ બાબતે રાજ્ય વિધાનમંડળમાં કોઈ મતદાન થઈ શકતું નથી.
→ અન્ય જોગવાઈ : કોઈપણ સભ્ય રાજ્યપાલને સંબોધીને રાજીનામું આપી પોતાનું પદ છોડી શકે છે, પરંતુ તેમને તેમના પદ પરથી હટાવવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે. (પ્રક્રિયા- સંઘ જાહેર સેવા આયોગને સમકક્ષ)
→ કોઈ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે તેના અન્ય સભ્ય તરીકે અથવા બીજા કોઈ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે નિમાવા માટે પાત્ર ગણાશે, પરંતુ ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે પાત્ર ગણાશે નહીં.
→ રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોના કાર્યકાળ પૂર્ણ થયા બાદ, તેમને સંઘ જાહેર સેવા આયોગ કે તે જ રાજ્ય અથવા અન્ય કોઈ રાજ્યના રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ સરકારી હોદ્દા કે નોકરી નીમી શકાતા નથી.
રાજ્ય જાહેર સેવા આયોગનાં કાર્યો:
→ રાજ્ય જાહેર સેવા આયોગ રાજ્ય સેવાઓ માટે એ જ કાર્ય કરે છે, જે સંઘીય સેવાઓ માટે સંઘ જાહેર સેવા આયોગ કરે છે.
→ રાજ્ય જાહેર સેવા આયોગ એ રાજ્યની સેવાઓ તથા પદો માટે ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે.
→ રાજ્ય જાહેર સેવાઓની ભરતીની પદ્ધતિ તેના દ્વારા જ નક્કી કરવામાં આવે છે.
→ રાજ્ય જાહેર સેવા આયોગ જાહેર સેવાઓમાં નિમણૂક, બઢતી તથા બદલી બાબતે રાજ્ય સરકારને ભલામણ કરે છે.
→ સંસદ કાયદા દ્વારા, જે રીતે સંઘ લોકસેવા આયોગની ફરજો તથા કાર્યોમાં વધારો કરી શકે છે, એ જ રીતે રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા રાજ્ય જાહેર સેવા આયોગની ફરજો તથા કાર્યોમાં વધારો કરી શકે છે.
→ રાજ્ય જાહેર સેવા આયોગ પોતાનાં કાર્યોનો અહેવાલ રાજ્યપાલને સોંપે છે અને રાજ્ય જાહેર સેવા આયોગનાં કાર્યોનો અહેવાલ દર વર્ષે રાજ્યપાલ વિધાનમંડળમાં રજૂ કરાવે છે.
સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગ
→ બંધારણના અનુચ્છેદ-315માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગની રચના કરી શકાશે.
→ બે કે તેથી વધુ રાજ્યોનું વિધાનમંડળ જો સંસદને આગ્રહ/ભલામણ કરે તો સંસદ કાયદા દ્વારા સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગની રચના કરી શકે છે.
→ સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ/સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
→ આ ઉપરાંત, તેના અધ્યક્ષ તથા સદસ્યોની સંખ્યા તથા સેવા માટેના નિયમો અને શરતો પણ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
→ તેના અધ્યક્ષ/સદસ્યોનો કાર્યકાળ રાજ્ય જાહેર સેવા આયોગને સમાન છે.
0 Comments