મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,


મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,

કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્ર…કરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,

ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,

જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,

પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?

છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

– હેમેન શાહ

Post a Comment

0 Comments